દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની ગંભીર અને દુઃખદ ઘટના સામે આવી છે. મૃતકોમાં અનુરાધા કપૂર (ઉંમર 52) અને તેમના બે પુત્રો આશિષ (32) તથા ચૈતન્ય (27)નો સમાવેશ થાય છે. ત્રણેયના મૃતદેહ તેમના નિવાસસ્થાનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા.
આ ઘટના શુક્રવારે (12 ડિસેમ્બર) ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કોર્ટના આદેશ અનુસાર ઘરનો કબજો લેવા માટે અધિકૃત ટીમ ત્યાં પહોંચી હતી. ઘણી વાર દરવાજો ખખડાવ્યા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા ડુપ્લિકેટ ચાવી વડે દરવાજો ખોલવામાં આવ્યો. અંદર પ્રવેશ કરતા જ ત્રણેયના મૃતદેહ લટકતા જોવા મળ્યા હતા.
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર લાંબા સમયથી આર્થિક તંગી અને માનસિક તણાવનો સામનો કરી રહ્યો હતો. ઘર સંબંધિત કાનૂની વિવાદ પણ તેમના માટે મોટી સમસ્યા બની હોવાનું મનાય છે.
પડોશીઓના જણાવ્યા મુજબ પરિવાર બહુ ઓછો સમાજિક સંપર્ક રાખતો હતો. અગાઉ પણ આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હોવાનું કહેવાય છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
