ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ સામે સ્પષ્ટ અને કડક વલણ અપનાવતા મોટું નિવેદન આપ્યું છે. મોરબીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી તેમણે કાર્યકરો તથા જનતાને અપીલ કરી હતી કે, કોઈપણ સરકારી કામ માટે દલાલો કે વચેટિયાઓના ચક્કરમાં ન પડી, સીધા સચિવાલયનો સંપર્ક કરવો.
અન્નનળીના કેન્સરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા મંત્રી અમૃતિયાએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે તેઓ હાલ સારવાર હેઠળ હોવાથી રૂબરૂ મુલાકાત કરી શકતા નથી, પરંતુ જનતાના કામ અટકવા ન જોઈએ તે માટે તેમની ટીમ સચિવાલયમાં સક્રિય છે. તેમણે કહ્યું, “હું બીમાર હોઉં છું, પરંતુ મારો કાર્યકર બીમાર નથી. તમારા પ્રશ્નો અને કામ લઈને નિઃસંકોચ સચિવાલય આવજો, પરંતુ કોઈ દલાલને વચ્ચે ન રાખશો.”
મંત્રીના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જાણકારોનું માનવું છે કે આ નિવેદન સરકારી કચેરીઓમાં હજુ પણ વચેટિયાઓની સક્રિયતા તરફ સંકેત આપે છે. તાજેતરના લાંચકાંડ અને ફરિયાદોની પૃષ્ઠભૂમિમાં મંત્રી અમૃતિયાનું આ નિવેદન ભ્રષ્ટાચાર સામે સરકારના કડક વલણનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે.
