સીનોર તાલુકામાં આવેલી એક શાળામાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરાજ રોડ પર આવેલી મનન વિદ્યાલયમાં બુકાનીધારી ચોરો ઘૂસી આચાર્ય તથા એકાઉન્ટન્ટની કેબિનમાંથી કુલ રૂ. 4.37 લાખ રોકડ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સાધલી ગામે રહેતા અને શાળાના સંચાલક યશકુમાર કમલેશભાઈ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 16 તારીખની સવારે તેઓ અને તેમની માતા તથા શાળાના આચાર્ય અર્ચનાબેન સ્કૂલે પહોંચ્યા ત્યારે ઓફિસનો દરવાજો ખુલ્લો અને તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ કરતાં એકાઉન્ટન્ટની ઓફિસના કબાટ અને ડ્રોઅર ખુલ્લા હતા તેમજ સામાન વેરવિખેર હતો.
ચોરોએ શિક્ષણ ફી, યુનિફોર્મ, વાહન ભાડા અને વાર્ષિક કાર્યક્રમની રોકડ રૂ. 2.50 લાખ ઉપરાંત આચાર્યની કેબિનમાંથી રૂ. 1.20 લાખ રોકડની ચોરી કરી હતી. ઉપરના માળે આવેલી ઓફિસનું તાળું પણ તૂટેલું હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં શાલ ઓઢેલા ત્રણ બુકાનીધારી ચોરો ચોરી કરતા નજરે પડ્યા છે. હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
