મધ્ય પ્રદેશ સરકારએ વિવાદિત નિવેદનોથી ચર્ચામાં આવેલા IAS સંતોષ વર્મા વિરુદ્ધ કડક પગલું ભરી તેમને નોકરીમાંથી બરતરફ કરવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી છે. ભોપાલમાં 23 નવેમ્બરે અજાકસના અધિવેશન દરમિયાન વર્માએ ‘પુત્ર માટે બ્રાહ્મણ યુવતીની માંગ’નું નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો વાયરલ થતાં બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. 65થી વધુ બ્રાહ્મણ સંગઠનોએ વિરોધ અને CM નિવાસ ઘેરાવની જાહેરાત બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી.
વિવાદ શમ્યો નહીં ત્યાં તેઓએ 11 ડિસેમ્બરે ફરી હાઈકોર્ટ SC-ST ઉમેદવારોને સિવિલ જજ બનતા અટકાવે છે એવો આરોપ મૂક્યો, જેનાથી હંગામો વધુ ઉછળ્યો.
CM મોહન યાદવના આદેશ બાદ વર્માને કૃષિ વિભાગમાંથી GADમાં બદલી દેવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ, તેમણે IAS પ્રમોશનમાં દસ્તાવેજી ગડબડી કરી હતી, ફોજદારી કેસો પેન્ડિંગ છે અને નકલી દસ્તાવેજો આધારિત ‘ઇન્ટિગ્રિટી સર્ટિફિકેટ’ મેળવ્યું હતું. વિભાગીય તપાસ અંતિમ તબક્કામાં છે અને કારણ-બતાવો નોટિસનો જવાબ સંતોષકારક ન હોવાથી ચાર્જશીટની કાર્યવાહી શરૂ થઈ છે.
નોંધનીય છે કે રાજ્ય સરકાર માત્ર IASને સસ્પેન્ડ કરી શકે છે, કાયમી બરતરફી (Dismissal)નો અધિકાર ફક્ત કેન્દ્ર અને રાષ્ટ્રપતિ પાસે છે.
