દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સના ફ્લાઇટ કેન્સલેશનના સંકટથી હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે, ત્યારે હરિયાણાના રોહતક જિલ્લાના એક પિતાની સંઘર્ષભરી કહાની સામે આવી છે, જે માનવીય જવાબદારી અને માતા–પિતાના સમર્પણનું ઉદાહરણ બની છે.
રજનાથ પંઘાલે પોતાના દીકરાની પ્રી-બોર્ડ પરીક્ષા શરૂ થતી હોવાથી દિલ્હીથી ઈન્દોર માટે ઈન્ડિગોની ફ્લાઇટ બુક કરાવી હતી. 6 ડિસેમ્બરે સાંજે 5:35 વાગ્યે ફ્લાઇટ ઉડવાની હતી, પરંતુ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ખબર પડી કે ફ્લાઇટ અચાનક કેન્સલ કરી દેવાઈ છે. પરીક્ષાની તારીખ નજીક હોવાથી સમય ગુમાવવાનો કોઈ વિકલ્પ નહોતો.
અન્ય વિકલ્પ ન મળતાં પિતાએ રાતોરાત એક કઠિન નિર્ણય લીધો. તેઓ દિલ્હીથી ઈન્દોર સુધી આશરે 800 કિલોમીટરનું અંતર પોતાની કારમાં સતત ડ્રાઇવિંગ કરીને પાર કરી ગયા. આખી રાત કાર હંકારી, થાક અને તણાવ વચ્ચે પણ દીકરાની પરીક્ષા ચૂકી ન જાય એ માટે પિતા અડગ રહ્યા.
આ લાંબી અને મુશ્કેલ મુસાફરી બાદ તેમણે દીકરાને સમયસર સ્કૂલે પહોંચાડ્યો. સોશિયલ મીડિયામાં આ ઘટના વાયરલ થતાં લોકો પિતાના સંઘર્ષ અને સમર્પણને સલામ કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ એરલાઈન્સની અણઘડ વ્યવસ્થાઓ પર પણ સવાલો ઊભા થયા છે.
