ગુજરાતમાં આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહ માટે આખી તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. કાર્યક્રમ ઝડપથી પૂર્ણ થાય તે માટે એક સાથે 10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે.
મુખ્ય મંચ પર રાજ્યપાલ અને મુખ્યમંત્રી બેસશે, જ્યારે બાજુએ નવા મંત્રીઓની બે હરોળ ગોઠવવામાં આવશે. હજુ સુધી નવા મંત્રીઓના નામ અંગે સસ્પેન્સ યથાવત છે, પરંતુ સવારે 8 વાગ્યા બાદ પસંદ કરાયેલા ધારાસભ્યોને ફોન કરવામાં આવવાનું શરૂ થયું છે.
આ વખતનું મંત્રીમંડળ 27 સભ્યો સાથે પૂર્ણ કદનું હોય તેવી શકયતા છે. શપથવિધિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સંગઠન મહામંત્રી સુનીલ બંસલ, રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહની પણ હાજરીની શક્યતા છે.
